Vadtal Dham Mahima
ગુજરાતી
વડતાલધામ નો ઇતિહાસ અને મહિમા
અદ્યતન આ વિશ્વમાં સ્વયં સર્વાવતારી ભગવાન શ્રીહરિના હસ્તે નિર્માણ થયેલું પુરાતન ધામ અને ઉપાસનાનું કેન્દ્ર શ્રી વડતાલ મંદિર. સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે
- જો કોઈ સ્થળે મંદિર બાંધવા માટે જગ્યા પોતે જોઈને પસંદ કરી હોય,
- મંદિરનું ચિત્ર અને નકશો પોતે તૈયાર કરાવીને પસંદ કર્યો હોય,
- મંદિરના ખાતમુહૂર્તની વિધિ પોતે કરી હોય,
- મંદિરના બાંધકામ માટે પોતાના મસ્તકે ઈંટો અને ચૂનાના તગારા ઉપાડયા હોય, અને
- આ બ્રહ્માંડમાં એકમાત્ર પોતાનું સ્વરૂપ સ્વહસ્તે પધરાવ્યું છે
એવું મંદિર જો કોઈ હોય તો તે એકમાત્ર છે વડતાલ મંદિર. આ મંદિરમાં સેંકડો સંતોએ, અસંખ્ય હરિભક્તો- સ્ત્રીપુરુષ – આબાલવૃદ્ધ સૌ કોઈએ ચૈતના પ્રાપ્ત કરી છે.
સ.ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી અને જોબનપગી, દલાભાઈ, વાસણ સુતાર તથા કુબેરભાઈ જેવા વડતાલના નરવાદારો ભક્તોના સમર્પણની સેવાથી સર્જાયેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉપાસનાનું કેન્દ્ર શ્રી વડતાલ મંદિર…
ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વયં યાવત્ ચંદ્ર દિવાકરી પોતાના આશ્રિતોને ઉપાસના દર્શન માટે પોતાના સ્વરૂપની પ્રતિષ્ઠા કરી આપી હોય તેવો વિશ્વના અધ્યાત્મજગતનો એકમાત્ર ઈતિહાસ છે અને એ છે વડતાલમાં કમલાકાર નવ શિખરોથી શોભાયમાન મંદિરના દક્ષિણખંડમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે મંદિર કરાવી વિ.સં. ૧૮૮૧ કારતક સુદ – ૧૨ના રોજ પ્રતિષ્ઠિત કરેલું પોતાનું જ દિવ્ય સ્વરૂપ શ્રીહરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે… સ.ગુ. શ્રી શતાનંદ સ્વામી લખે છે :
‘तदन्तिके तु मे मूर्तिरस्ति स्वीयप्रसत्तये ।
धर्मभक्तियुता चास्ति मन्दिरे तूत्तरे मम ।।’
ભગવાન શ્રીહરિ સ્વમુખે કહે છે : “દક્ષિણ મંદિરમાં શ્રી રાધાકૃષ્ણની સમીપે મારી મૂર્તિ મારા એકાંતિક ભક્તોની પ્રસન્નતા માટે છે. તેમજ ઉત્તર મંદિરમાં પણ ધર્મ ભક્તિએ સહિત મારી મૂર્તિ પોતાના ભક્તોની પ્રસન્નતા માટે છે.” (શ્રી સત્સંગિજીવન : ૪/૨૭/૫૬)
જે જે લોકોએ આરાધન કરેલું છે તે તે જનોને મનોવાંછિત ધર્મ, અર્થ, કામ, મોક્ષ વગેરે ફળને આપતા થકા ભૂભાર ઉતારવાના નિમિત્તે પામર પતિત મનુષ્યોને સમાશ્રય કરવા યોગ્ય અને સકળમનુષ્યને નયન ગોચર, શ્રેષ્ઠ અને પતિત, સર્વે સ્ત્રી પુરુષોને દર્શન આપતાં થકાં વૃત્તાલય ધામમાં કાયમને માટે પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. તે શ્રી સત્સંગિજીવનના પ્રથમ પ્રકરણના અધ્યાય ૬૮માં કહ્યું છે : ।। वृतालये स भगवान् जयतीह साक्षात् ।।
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં શૈક્ષણિક, સામાજિક, આર્થિક, રાજકીય અને ઐતિહાસિક દ્રષ્ટિએ સમૃદ્ધ કહી શકાય એવા ઘણાં ગામો અને શહેરો છે. એ સ્થળોની સરખામણીમાં વસ્તી, વેપાર, વ્યવહાર, શિક્ષણ અને સંપત્તિ વગેરે દ્રષ્ટિએ વડતાલ તો એક નાનું ગામ ગણાય. પરંતુ પરબ્રભ પૂર્ણ પુરુષોત્તમનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણે એ બધાં સ્થળોમાં એકમાત્ર વડતાલને પ્રિયાતિપ્રિય સ્થળ ગણીને તીર્થોમાં શિરોમણિ મોટું ધામ બનાવેલું છે.
ભગવાન શ્રીહરિએ સંપ્રદાયમાં ઘણાં સ્થળોએ અનેક ઉત્સવો ઉજવ્યા છે, પરંતુ જો કોઈ સ્થળે વર્ષના બધા જ ઉત્સવો ઉજવ્યા હોય તો તેવું સ્થળ સંપ્રદાયમાં માત્ર એક જ છે – વડતાલ. ગઢડામાં વર્ષના બધા જ ઉત્સવો ઉજવેલા છે પણ ત્યાં વર્ષની બધી જ એટલે કે ચોવીશે એકાદશીઓના ઉત્સવો ઉજવેલા નથી, જયારે વડતાલમાં શ્રીજીમહારાજે એ ઉત્સવો પણ ઉજવેલા છે. આ હકીકતની નોંધ લેતા સ.ગુ. શ્રી શતાનંદ સ્વામી સત્સંગિજીવનમાં લખે છે:
प्रतिवर्ष दुर्गपुराद्धरिर्वृत्तालयं पुरम् ।
मुहुर्जगाम नृपते । धर्मस्थापन उद्यतः ॥
तेनोत्सवास्तत्र महान्त एव कृता ह्यनेकेऽखिलसौख्यकर्त्रा ।
वदामि तत्रैकतमं समासात्तेनानुमेया इतरेऽपि तद्वत् ॥
“હે રાજન, એકાંતિક ધર્મના સ્થાપન માટે ઉત્સાહી-ઉદ્યમી શ્રી સ્વામિનારાયણ ભગવાન દરેક વર્ષે વારંવાર ગઢપુરથી વડતાલ આવતા હતા. સમગ્ર ભક્તજનોને સુખ આપનારા શ્રીહરિએ વડતાલમાં અનેક મોટા ઉત્સવો કરેલા જ છે. તે અનેક ઉત્સવોમાંથી એક ઉત્સવનું વર્ણન હું સંક્ષેપમાં કરું છું. તેને આધારે બીજા ઉત્સવો કેવા થયા હશે, તેનું અનુમાન કરી લેવું.” (શ્રીતરિલીલામૃત: ૧૦/૧૩/૦૪) (શ્રી સત્સંગિજીવન : ૩/૪૨/૩૧-૩૨)
સંપ્રદાયના કેટલાક વિદ્વાન-કવિજનોએ ગઢડાને ગોકુળરૂપ ગણાવેલું છે એ તો બરાબર જ છે, પણ શ્રીજી મહારાજે સ્વમુખે જ વડતાલ જ્યાં આવેલું છે એવા ચરોતર પ્રદેશને ખોડિસ मम प्रेष्ठे वृन्दावनमिवानय।। पोताने वृंहावन देवो प्रिय छे એમકહ્યું છે. (શ્રી સત્સંગિજીવન : ૪/૨૭/૧૦)
તેમજ સ.ગુ. શ્રી શતાનંદ સ્વામીએ પણ ભગવાન શ્રીહરિના વિચરણ भडिभाषी वडताबने ‘पुण्यभूमिर्वृन्दावनमिवोत्तमः । વૃન્દાવન જેવી ઉત્તમ પુણ્ય ભૂમિ કહેલી છે. (શ્રી સત્સંગિજીવન : ૩/૪૭/૫૭)
વૃંદાવન અને વડતાલની રાશિ જેમ એક છે તેમ એમની ઈતિહાસ કથામાં પણ ઘણું સામ્ય છે. બ્રાહ્મધવર્તપુરાણમાં કહ્યું છે કે – સત્યયુગમાં મહારાજા કેદારની રાજકુમારી વૃંદાએ રાજવૈભવનો ત્યાગ કરીને વૃંદાવનમાં જે સ્થળે રાસલીલાનો મહોત્સવ ઉજવાયો હતો, (આજે જેને કુંજગલી-સેવાકુંજ કહે છે)
તે સ્થળે બેસીને સ્ત્રીજાતિ માટે અતિ કઠણ એવું તપ ભગવાનને પ્રત્યક્ષ પતિરૂપે મેળવવાના હેતુથી કર્યું હતું. તેવી જ રીતે વડતાલમાં પણ ભૃગુઋષિની પુત્રી લક્ષ્મી (રમા)એ વૃંદાના હેતુ પ્રમાણે જ દ્વાપર યુગમાં તીવ્ર તપ કર્યું હતું. બંનેની મનોકામનાઓ પરમાત્માએ પ્રસન્ન થઈને પૂર્ણ કરી હતી.
વૃંદાએ જે સ્થળે બેસીને તપ કર્યું હતું તેને ઈતિહાસમાં ‘વૃંદાવન‘ કહેવાય છે. અને લક્ષ્મીએ જે ગામના બદરીવૃક્ષ નીચે બેસીને તપ કર્યું હતું તે ગામને ઈતિહાસમાં ‘વૃત્તાલય અથવા વડતાલ કહેવાય છે.
વૃંદાએ જવાં તપ કર્યું હતું તે સ્થળે દ્વાપર અને કળિયુગની સંધિમાં ભગવાન શ્રીકૃષ્ણે રાસકીડા મહોત્સવ ઉજવ્યો હતો. અને લક્ષ્મીજીએ જે ગામમાં બેસીને તપ કર્યું હતું તે ગામની રમ્ય ભૂમિ ઉપર ભગવાન શ્રી સ્વામિનારાયણે વિ.સં. ૧૮૭૫માં રંગકીડા મહોત્સવ અને પુષ્પદોલોત્સવ ઉજવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં વડતાલને ભગવાન શ્રી સ્વામિનારાયણની લીલાભૂમિ ગણાય છે. તે ઉપરાંત કર્મભૂમિ અને ઉત્સવભૂમિ પણ ગણાય છે. અને આજે વિશ્વમાં પણ પ્રસિદ્ધ ઉક્તિ છે કે ‘નરસિંહ મહેતાની કરતાલ, ગાંધીજીની હડતાલ અને સ્વામિનારાયણની વડતાલ.’
સંપ્રદાયનો ઈતિહાસ કહે છે કે શ્રીજી મહારાજે જેમ વિ.સં. ૧૮૯૨માં ગઢપુરના પ્રેમીભક્તોને નિત્ય દર્શનાદિકનો લાભ મળે તેવા હેતુથી શ્રી વાસુદેવનારાયણની મૂર્તિની સ્થાપના દાદાખાચરના દરબારગઢમાં ઉગમણાબારના ઓરડામાં કરી હતી. તેમ એ પછી બે વર્ષે વડતાલના પ્રેમીભક્તોને દર્શનાદિકનો લાભ મળે એટલા માટે વડતાલમાં પણ બદરીવૃક્ષની બાજુએ એક ઓરડીમાં શ્રીનરનારાયણદેવની યુગલ મૂર્તિ પધરાવી હતી.
સંપ્રદાયમાં મંદિર કરવા માટે સૌથી પહેલી પ્રાર્થના-ચાયના અને સૌથી પહેલો દસ્તાવેજ વડતાલના ઉત્તમ નિર્વિકલ્પ નિષ્ઠાવાળા ભક્તોએ કરી આપેલો છે. જો કોઈ સ્થાનને તીર્થંશિરોમણી મોટું ધામ બનાવવાની ઈચ્છા શ્રીજીમહારાજે જાહેરમાં વ્યક્ત કરી હોય તો તે પહેલી વહેલી એકમાત્ર વડતાલ માટે જ કરેલી છે.
ભગવાન શ્રીહરિએ અમદાવાદ, ભૂજ, વડતાલ, ધોલેરા, જૂનાગઢ અને ગઢડા-આ છ સ્થળોએ મંદિરો કર્યા અને તેમાં સ્વહસ્તે ભગવત્પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરેલી છે પરંતુ એ પૈકી કોઈ મંદિર માટે જો પોતે જાતે ખાતપૂજન કર્યું હોય તો તેવા સ્થળો બે જ છે : ૧. વડતાલ ૨. ગઢડા. પોતે કરાવેલા મંદિરો પૈકી જો કોઈ મંદિર માટે શ્રીજી મહારાજે પોતે ઈંટો, પથ્થર અને ચૂનાના તગારા ઉપાડયા હોય તો તે પહેલા વડતાલ મંદિર માટે અને પછી ગઢડા મંદિર માટે જ ઉપાડેલા છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતે પ્રત્યક્ષ દેખરેખ નીચે છ મંદિરોમાંથી કોઈ મંદિર કરાવ્યું હોય તો એવા સ્થળ બે જ છે : ૧. વડતાલ ૨. ગઢડા.
સંપ્રદાયમાં પોતે કરાવેલા મંદિરોમાં જે મંદિરમાં ધર્મ-ભક્તિ છે ત્યાં જ હું છું અને જયાં હું છું ત્યાં જ ધર્મ-ભક્તિ છે એવું કહીને ધર્મ-ભક્તિ અને શ્રી વાસુદેવની મૂર્તિઓની પહેલી વહેલી પ્રતિષ્ઠા કરી હોય એવું સ્થળ એકમાત્ર વડતાલ જ છે.
આ બ્રહ્માંડમાં એકમાત્ર પોતાનું શ્રી હરિકૃષ્ણ નામે સ્વરૂપ સ્વહસ્તે પધરાવીને પ્રતિષ્ઠા કરી હોય એવું મંદિર જો કોઈ હોય તો તે એકમાત્ર સ્થળ વડતાલ મંદિર છે.
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મહાકાર્યો શ્રીજી મહારાજે વડતાલમાં બિરાજીને કરેલા છે. ભગવાન શ્રીહરિએ પોતાને સ્થાને આચાર્યપદની સ્થાપના વિ.સં. ૧૮૮૨ના કાર્તિક સુદ -૧૧ના રોજ વડતાલમાં બિરાજીને કરી છે.
પોતાની વાણીરૂપા મૂર્તિ ભગવતી શિક્ષાપત્રીની રચના સર્વજીવોના હિતાર્થે શ્રીજી મહારાજે વડતાલમાં વિ.સં. ૧૮૮૨ના મહા સુદ – ૫ (વસંતપંચમી)ના દિને કરેલી છે, જ્યાં ઉપનિષદ્ સમા ૨૦ વચનામૃતોના શબ્દોનો ગુંજારવ કર્યો છે. ત્યાગીવર્ગમાં મંડળો (મંડળ એટલે જેમાં એક કરતાં વધુ ત્યાગીઓ હોય તેવાં પાંચસો મંડળો)ની યોજના અને ત્યાગી વર્ગે જોડ સિવાય એકલા ન રહેવું અને જોડ સિવાય એકલા મંદિર બહાર ન જવાનો પ્રબંધ પણ ભગવાન શ્રીહરિએ વડતાલમાં બોરડી નીચે બિરાજીને કરેલ છે. (સં. ૧૮૯૮ કારતક વદ – ૪)
સંતો માટે ધર્મશાળાનું નિર્માણ પહેલું વહેલું વડતાલમાં જ થયું છે. ધર્મકુળનું સપરિવાર સૌપ્રથમ આગમન પણ અહીં જ સં. ૧૮૭૫ના ફાગણ સુદ – ૧૧ના દિવસે થયેલું છે.
ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વહસ્તે છ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરેલી છે, પરંતુ વડતાલ મંદિર માટે શ્રીજીમહારાજે જે શબ્દો ઉચ્ચારેલા છે તેવા બીજા કોઈ મંદિર માટે ઉચ્ચારેલા નથી.
पौर्णमास्यां पौर्णमास्यां ये च ग्रामान्तरादपि ।
एत्यैषां दर्शनं भक्त्या करिष्यन्त्यत्र मानवाः ॥
सर्वे मनोरथास्तेषां सिद्धिमेष्यन्ति निश्चितम् ।
भुक्ति तथेप्सितां मुक्ति प्राप्यन्त्येषां प्रसादतः ॥
“જે મનુષ્યો દરેક પૂનમને દિવસે બીજાં ગામોથી પણ વૃત્તપુરીમાં આવીને આ લક્ષ્મીનારાયણાદિ સ્વરૂપોનાં દર્શન ભક્તિથી કરશે. તે મનુષ્યોના સર્વે મનોરથો સિદ્ધ થશે. તે મનુષ્યો પોતાને ઈચ્છિત ભક્તિ તથા ઇચ્છિત મુક્તિ આ લક્ષ્મીનારાયણાદિ સ્વરૂપોના અનુગ્રહથી પામશે. એમાં સંશય નથી.” (શ્રી સત્સંગિજીવન : ૪/૨૭/૫૮-૫૯)
વિ.સં. ૧૮૭૫ના ફાગણ મહિનાનો હુતાશની પુષ્પદોલોત્સવ ઉજવવો હતો ત્યારે શ્રીજીમહારાજે સંતોને સુંદર ગામ શોધવાની આજ્ઞા કરી હતી. તે સમયે વડતાલ જેવું કોઈ સ્થાન સંતો તેમજ ભગવાન શ્રીહરિના નજર સમક્ષ આવ્યું નહોતું. જેની નોંધ સ.ગુ. શ્રી નિષ્કુળાનંદ સ્વામી લેતા લખે છે:
વાળ્યમ કહે વરતાલ જેવું, નથી બીજું કોઈ ગામ:
સતસંગના મધ્યમાં, સુંદર છે એહ ઠામ.
(ભક્તચિંતામણી : ૭૪/૧૫)
વડતાલ ગામના મહિમાનો પાર આવે તેમ નથી, કારણ કે વડતાલની વરવી વસુંધરાના કણ કણમાં શ્રીજી મહારાજ અને નંદસંતો પરમહંસોના પવિત્ર પાદારવિંદથી પાવન થયેલ ભૂમિમાં આધ્યાત્મિકતાના દિવ્ય સ્પંદનો ગુંજી રહ્યા છે.
આ ધામના મહિમાને કલમ શબ્દોમાં ગુંથી શકવા સમર્થ નથી. એટલે તો પ.પૂ. ધ.ધુ. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજશ્રીએ ટૂંકમાં કહ્યું છે:
એક ત્રાજવે તીર્થ હજારે, બીજા ત્રાજવે વસ્તાલ ધારે;
ધામ વૈકુંઠ આદિ ધરાય, તોય વરતાલ તુલ્ય ન થાય.(શ્રીહરિલીલામૃત : ૧/૧૩/૯૧)
આ વૃત્તાલયનું નામ ભગવાન શ્રી નારાયણના જ શબ્દો પ્રમાણે શ્રી લક્ષ્મીજીના તપનું સ્થાન એવો અર્થ થાય છે:
तपोवृत्तस्य ते यस्मादालयो वर्तते त्विदम् ।
ततोऽस्मिन् भविता स्थाने पुरं वृत्तालयाभिचम् ।।
ભગવાન શ્રી લક્ષ્મીજી પ્રત્યે કહે છે : “હે લક્ષ્મીજી ! આ સ્થાન તમારા તપરૂપ વૃત્ત (વ્રત)ના આલય=સ્થાન રૂપ હોવાથી આ સ્થાનમાં વૃત્તાલય નામનું પુર થશે. આ પ્રમાણે સાર્થક કરેલું છે.” (શ્રીહરિલીલાકપતરુ : ૯/૧૫/૩૧)
પ.પૂ. ધ.ધુ. આદિઆચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ‘શ્રીહરિલીલાકલ્પતરુ’ ગ્રંથમાં વડતાલનો મહિમા કહેતા લખે છેઃ
જે જનાં વૃતાલયપુરમાં લક્ષ્મીનારાયણ આદિક દેવોના હંમેશા દર્શન કરે છે તે જનો નિાય મુક્તિ પામેલા છે, માટે તેમને ધન્ય છે. જન્મથી આરંભીને જે જને કદી પુણ્ય નથી કર્યા તેવો મનુષ્ય આ વૃત્તાલયના દર્શનથી જ પુણ્ય ભાગી થાયછે. સમગ્ર તીર્થોના દર્શન કરીને પણ જે મનુષ્ય વૃત્તાલય જો ન જુએ તો તેની યાત્રા પૂર્ણ થાય નહિ. તેમજ સમગ્ર તીર્થનું પણ ફળ તેને ન થાવ. પૃથ્વી ઉપરના સર્વ તીર્થોમાં જે પ્રમાદને લીધે જઈ શકતો નથી પરંતુ કેવળ વૃત્તાલયપુરના જ જે દર્શન કરે છે તેવા મનુષ્યોને સર્વ તીર્થનું ફળ થાય છે. (શ્રીહરિલીલાકલ્પતરુ : ૯/૩૨/૧૦-૧૨)
द्वारिका मथुरा माया काश्ययोध्या ह्यवन्तिका ।
काळी तुल्या न सप्तैता अन्यक्षेत्राण्यनेन वै ।।
कलिप्रवेशरहिते पुरे पुण्येऽत्र भूपते ।
ये वसेयुः कलेर्वश्यं प्राप्नुयुश्च न ते जनाः ।।
પૃથ્વી ઉપર દ્વારિકા, મથુરા, માયા, કાશી, અયોધ્યા, અવંતિકા, કાંચી આ પુરીઓ આ વૃત્તાલવની સમાન નથી. તેમજ અન્ય ક્ષેત્રો પણ આની તુલ્ય નથી જ. (શ્રીહરિલીલાકલ્પતરુ : ૯/૩૨/૧૩-૧૪)
તો ચાલો… આપણે આવા આ મોક્ષ સંપત્તિની સમગ્ર રિદ્ધિ-સિદ્ધિથી ભરપુર વડતાલ-ક્ષેત્રના તમામ તીર્થસ્થાનોના, તજજ્ઞ વિદ્વાનો-સંતો દ્વારા શાસ્ત્રોક્ત પ્રમાણથી સંકલિત દરેક સ્થળની માહિતીસભર દર્શન કરી કૃતાર્થતા અનુભવીએ…