Ekadashi Mahima – (તિલદા એકાદશી વ્રત કથા – પોષ વદ – ૧૧)

ગુજરાતી
પોષ મહિનો આવે ત્યારે મુષ્યોએ સ્નાનાદિથી પવિત્ર થઇ ઇન્દ્રીય સંયમ રાખીને કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઇઓનો ત્યાગ કરી દેવો જોઇએ. શ્રી હરિનું સ્મરણ કરીને જળથી પગ ધોઇને જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો. એમાં તલ અને કપાસ મેળવીને એકસો આઠ છાણા બનાવ્યા પછી પોષ મહિનામાં જયારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણપક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો.
બરાબર સ્નાન કરીને, પવિત્ર થઇને શુધ્ધ ભાવથી દેવાધિદેવ શ્રીહરિની પૂજા કરવી. કોઇ ભૂલ થઇ જાય તો શ્રીકૃષ્ણનું નામોચ્ચારણ કરવું. રાત્રે જાગરણ અને હોમ કરવો. ચંદન, કપૂર, નૈવેદ્ય, વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રીહરિની પૂજા કરવી. ત્યાર બાદ ભગવાનનું સ્મરણ કરીને વારંવાર શ્રીકૃષ્ણનું ઉચ્ચારણ કરતા કરતા કોળું, નાળિયેર અથવા બિજોરોના ફળથી ભગવાનની વિધિ પૂર્વક પૂજા કરીને અર્ધ્ય આપવું.”
બીજી બધી સામગ્રીના અભાવમાં 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ધ્યનું દાન કરી શકાય છે. અર્ધ્યનો મંત્ર આ પ્રમાણ. છે. “હે શ્રીકૃષ્ણ! આપ ઘણા દયાળુ છો, અમારા જેવા આશ્રયહિન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યાં છીએ. આપ, અમારા પર પ્રસન્ન થાઓ આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ધ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો.”
ત્યાર બાદ બ્રહ્મણની પૂજા કરવી. એને છત્રી પગરખા અને વસ્ત્રનું દાન કરો. દાન કરતી વખતે કહો કેઃ “આ દાન દ્વારા શ્રીકૃષ્ણ મારા પર પ્રસન્ન થાય !” પોતાની શકિત પ્રમાણે શ્રેષ્ઠ બ્રાહ્મણને કાળી ગાયનું દાન કરવું. બીજુ વિદ્વાન પુરુષે તલથી ભરેલ પાત્રનું દાન કરવું જોઇએ. એ તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે, એટલા હજાર વર્ષો સુધી એસ્વર્ગલોકમાં વાસ કરે છે. તલથી સ્નાન હોમ કરવું. તલનું ઉબટણ કરવું.તલથી મિશ્રિત જળ પીવું. તલનું દાન કરવું. અને ભોજનમાં તલનો ઉપયોગ કરવો.
આ પ્રમાણે હે નૃપશ્રેષ્ઠ ! 6 કાર્યમાં તલનો ઉપયોગ થવાથી આ તિલદા એકાદશી કહેવાય છે કે જે બધા જ પાપોનો નાશ કરનારી છે. ”