Gadhpur : International Mahila Adhivesan || 05 March 2023

અખિલ ભારતીય દક્ષિણ વિભાગ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતી *પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય મહારાજશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી* તથા સર્વે સ્ત્રીભક્તો ના ગુરુપદને શોભાવતા એવા *પ.પૂ.અ.સૌ. ગાદીવાળા માતૃશ્રી* ના શુભ આશીર્વાદથી તેમજ *પ.પૂ. શ્રી ડૉ.ઉર્વશીકુંવરબા ( બાબારાજાશ્રી ) ના સુયોગ્ય માર્ગદર્શન હેઠળ શ્રી લક્ષ્મીનારાયણદેવ મહિલા મંડળ* દ્વારા તારીખ 5/3/2023/ ના દિવસે ગઢપુર ધામને આંગણે આંતર રાષ્ટ્રીય મહિલા અધિવેશન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ અધિવેશન માં રાષ્ટ્રીય સેવિકા સંઘ ના બૌધિક પ્રમુખ સુજ્ઞ શ્રી રેણુજી શરદ, દુગાવાહીની ક્ષેત્રીય સંયોજિકા સુજ્ઞ શ્રી યજ્ઞાબેન દેસાઈ, તેમજ અનેક રાજકીય – સામાજીક અગ્રગણ્ય બહેનો તથા સમગ્ર દેશ માંથી 50,000 થી પણ વધુ સંખ્યામાં હરિભક્ત બહેનો હાજર રહ્યા. અધિવેશન માં ગત વર્ષના અભિયાન ‘પોષણ પ્રસાદ સુપોષિત ગુજરાત’ અંતર્ગત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ ના બહેનો દ્વારા આંગણવાડીના બાળકોને પોષણ પ્રસાદ નું વિતરણ કાર્ય કરી કુપોષણ મુક્ત કરવાનું જે ભગીરથ કાર્ય થયું તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ સાથે સર્વાઇકલ કેન્સર વેક્સીનેશન અભીયાન નો પણ અહેવાલ રજૂ કરવામાં આવ્યો. આ સાથે પ.પૂ. અ.સૌ. ગાદીવાળા ‌માતૃશ્રી ના શુભ જન્મ દિવસ ના ઉપલક્ષ્યમાં આ વર્ષે ‘ હમારી બેટી સુશિક્ષિત બેટી’ અભિયાન નું અનાવરણ કરવામાં આવ્યું. આ અભિયાન અંતર્ગત પછાત વિસ્તાર ની દીકરીઓ ને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું. તેમજ આ અભિયાન અંતર્ગત પછાત વિસ્તારની શાળાઓની દીકરીઓને શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ અપરાજીતા ગ્રુપ ની દીકરીઓ દ્વારા સમયાંતરે શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે.યુનેસ્કો દ્વારા આ વર્ષને મિલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે પ.પૂ. બાબારાજા શ્રી ના શુભ માર્ગદર્શન હેઠળ જાડા ધાનની મહત્તા સ્થાપિત કરવા માટે શ્રી અન્ન ઉત્સવની ઉજવણી ના ભાગરૂપે શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળના બેહેનો દ્વારા એક સાથે ખૂબ મોટી સંખ્યામાં બાજરાના રોટલા બનાવી ‘ધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં સ્થાન મેળવવામાં આવ્યું.આજનો આ એવોર્ડ સૌ સ્ત્રી ભક્તો માટે આનંદનો ઉત્સવ બની રહ્યો અને એવોર્ડને પ.પૂ. બાબારાજા શ્રી ( ડૉ. ઉર્વશી કુંવર બા) દ્વારા સહર્ષ સ્વીકારવામાં આવ્યો.
અધિવેશન માં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્ત્રી ભક્તો ના જીવન ચરિત્ર તેમજ પ્રેરણાત્મક નાટકો તેમજ કીર્તન રાસનું પણ ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું. અધિવેશનમાં પધારેલા સુજ્ઞ શ્રી યજ્ઞાબેન જોષી દ્વારા મૂળ સંપ્રદાય નું મહત્વ ખૂબ સુંદર રીતે સમજાવવામાં આવ્યું. માનનીય શ્રી રેણુજી શરદ દ્વારા સ્ત્રી શક્તિ એને સંગઠન નો પ્રતાપ સમજાવી પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યું. પ.પૂ. બાબારાજા શ્રી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સિધ્ધાંતો તેમજ સંગઠન માં રહેલી શક્તિ ને ભાવવાહી શૈલીમાં રજૂ કરવામાં આવ્યું. તેમજ પ.પૂ. અ.સૌ.ગાદીવાળા માતૃશ્રી ના જીવન ને બખૂબી વર્ણવવામાં આવ્યું. સૌ સ્ત્રી ભક્તો ની સ્વામિનારાયણ સંપ્રદાય મૂળ સંપ્રદાય પ્રત્યે ની દ્રઢ નિષ્ઠા ને કાયમી ટકાવી રાખવા માટે સૌને પ્રેરિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે સૌ સ્ત્રી ભક્તોને શ્રી અન્ન નો પ્રસાદ ભોજન સ્વરૂપે પીરસવામાં આવ્યો.